વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કુદી ગિરીશ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી હતી. મૃતક ગિરીશના ખિસ્સામાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં તેણે કબૂલાત કરી છે કે તેણે પોતાની પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે અને તેમના મૃતદેહ શાહપુર વડ સ્થિત પોતાના મકાનમાં જ દાટી દીધા છે. આ ઘટસ્ફોટ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. ગિરીશે અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ પત્ની-પુત્રી ગુમ થયા હોવાની અફવા ફેલાવી પોતે બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો.
સમગ્ર બાબતે ખોદકામ દરમિયાન કપડામાં વીતેલા બે કંકાળ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર પણ કરી દીધું હતું. પોલીસે પ્લાસ્ટર તોડી લાશ બહાર કાઢી હતી. પોલીસે ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો હોવાની વિગત સામે આવી છે.
ડી.વાય.એસ.પી જય કંસારાએ જણાવ્યું કે પારિવારિક ઘર કંકાસમાં આ બનાવ ને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી હતી એના આધારે પોલીસે શાહપુર વડ ગામે આવેલા ઘરે તપાસ કરતા બે કંકાળ મળી આવ્યા હતા. પોલીસે વધુ તપાસ આદરી છે.